સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

મારે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

મારે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

 ઘણા યુવાનોનું કહેવું છે કે તેઓ પ્રાર્થના તો કરે છે, પણ રોજ નથી કરતા. એમાંના અમુક વિચારે છે: ‘શું પ્રાર્થના કરવાથી ફક્ત મનની શાંતિ જ મળે છે, કે પછી એનાથી બીજી પણ મદદ મળે છે?’

 પ્રાર્થના એટલે શું?

 પ્રાર્થના કરવાનો અર્થ થાય, આપણા સર્જનહાર સાથે વાત કરવી. એ કેટલો મોટો લહાવો કહેવાય! યહોવા દરેક રીતે માણસો કરતાં મહાન છે. તોપણ “તે આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૭) બાઇબલમાં લખ્યું છે: “તમે ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

 તમે કઈ રીતે ઈશ્વરની પાસે આવી શકો, એટલે કે તેમના દોસ્ત બની શકો?

  •   એક રીત છે, પ્રાર્થના કરવી. પ્રાર્થના દ્વારા તમે ઈશ્વર સાથે વાત કરો છો.

  •   બીજી રીત છે, બાઇબલ વાંચવું. એ રીતે ઈશ્વર તમારી સાથે “વાત” કરે છે.

 જ્યારે પ્રાર્થના દ્વારા તમે ઈશ્વર સાથે વાત કરો છો અને બાઇબલ દ્વારા ઈશ્વર તમારી સાથે વાત કરે છે, ત્યારે તેમની સાથેની તમારી દોસ્તી પાકી થાય છે.

 “આખી દુનિયાના માલિક યહોવા સાથે વાત કરવી, એ આપણા માટે કેટલા ગર્વની વાત કહેવાય!”—જેરેમી.

 “યહોવા સાથે પ્રાર્થનામાં દિલ ખોલીને વાત કરું છું ત્યારે, અમારી દોસ્તી વધારે પાકી થાય છે.”—મિરાન્ડા.

 શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

 કદાચ તમે ઈશ્વરમાં માનતા હશો અને તેમને પ્રાર્થના કરતા હશો. છતાં તમને એ માનવું અઘરું લાગતું હશે કે ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે. પણ બાઇબલમાં લખ્યું છે કે યહોવા “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એમાં એ પણ લખ્યું છે: “તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પિતર ૫:૭.

 આના વિશે વિચાર કરો: શું તમે રોજ તમારા જિગરી દોસ્ત સાથે વાત કરો છો? જો એમ હોય, તો તમે ઈશ્વર સાથે પણ રોજ વાત કરી શકો છો. પ્રાર્થના કરો ત્યારે ફક્ત ઈશ્વર કહેવાને બદલે “યહોવા” કે “યહોવા ઈશ્વર” કહો. (ગીતશાસ્ત્ર ૮૬:૫-૭; ૮૮:૯) બાઇબલમાં લખ્યું છે: “સતત પ્રાર્થના કરો.”—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૭.

 “પ્રાર્થના દ્વારા હું સ્વર્ગમાંના મારા પિતા યહોવા સાથે વાત કરું છું અને તેમની આગળ મારું દિલ ઠાલવી દઉં છું.”—મોઇસિસ.

 “પ્રાર્થનામાં હું યહોવા સાથે દિલ ખોલીને વાત કરું છું, જેમ મારી મમ્મી કે કોઈ ખાસ બહેનપણી સાથે કરું છું.”—કૅરન.

 હું શાના વિશે પ્રાર્થના કરી શકું?

 બાઇબલમાં લખ્યું છે: “કશાની ચિંતા ન કરો, પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.”—ફિલિપીઓ ૪:૬.

 શું એનો એવો અર્થ થાય કે આપણે પ્રાર્થનામાં યહોવાને આપણી મુશ્કેલીઓ જણાવી શકીએ? હા, ચોક્કસ. બાઇબલમાં લખ્યું છે: “તારો બોજો યહોવા પર નાખ, તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

 આપણે પ્રાર્થનામાં મુશ્કેલીઓની સાથે સાથે બીજી વાતો પણ જણાવવી જોઈએ. શેન્ટેલ નામની યુવાન છોકરી કહે છે: “જો હું યહોવાને ફક્ત મદદ માટે જ પ્રાર્થના કરું, તો હું સારી મિત્ર ન કહેવાઉં. મારે તો પ્રાર્થનામાં સૌથી પહેલા યહોવાનો આભાર માનવો જોઈએ. એ પણ એક-બે વાત માટે નહિ, ઘણી વાતો માટે.”

 આના વિશે વિચાર કરો: તમે કઈ વાત માટે યહોવાનો આભાર માનશો? શું તમે એવી ત્રણ વાત વિચારી શકો, જેના માટે તમે આજે યહોવાનો આભાર માની શકો?

 “આપણે નાની નાની વાત માટે પણ યહોવાનો આભાર માની શકીએ. જેમ કે, કોઈ સુંદર ફૂલ જોયું હોય ત્યારે પણ તેમનો આભાર માની શકીએ.”—એનિટા.

 “જો બાઇબલની કોઈ કલમ તમારા દિલને સ્પર્શી જાય કે સૃષ્ટિની કોઈ વસ્તુ તમારું મન મોહી લે, તો એના પર વિચાર કરો અને પછી યહોવાનો આભાર માનો.”—બ્રાયન.