સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?

મુશ્કેલ સંજોગોમાં દિલાસો

મુશ્કેલ સંજોગોમાં દિલાસો

મુશ્કેલીઓ અલગ અલગ પ્રકારની હોય છે. બધી મુશ્કેલીઓ વિશે અહીં વાત કરવી શક્ય નથી. પણ ચાલો અગાઉ વાત કરી એ ચાર અનુભવો પર ધ્યાન આપીએ. કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે લોકોને ઈશ્વર પાસેથી ખરો દિલાસો મળ્યો, એ આ અનુભવોમાંથી જોવા મળશે.

નોકરી છૂટી જાય ત્યારે

“હું કોઈ પણ નાનું-મોટું કામ કરવા તૈયાર હતો અને અમે બિનજરૂરી ખર્ચા કરવાનું બંધ કર્યું.”—જૉનાથન

શેથ * નામના ભાઈ કહે છે: “મને અને મારી પત્નીને એક જ સમયે નોકરી પરથી છૂટા કર્યાં. બે વર્ષ સુધી અમારે કુટુંબના બીજા સભ્યોને સહારે અને નાના-મોટા કામ કરીને ગુજારો કરવો પડ્યો. પરિણામે, મારી પત્ની પ્રિસ્કીલા નિરાશામાં ડૂબી ગઈ અને હું નકામાપણાની લાગણી અનુભવવા લાગ્યો.

“અમે કઈ રીતે આ બધું સહ્યું? પ્રિસ્કીલા નિયમિત રીતે માથ્થી ૬:૩૪ના ઈસુના શબ્દો પોતાને યાદ દેવડાવતી હતી. ઈસુ જણાવે છે કે આપણે આવતીકાલની ચિંતા ન કરીએ, કેમ કે આવતીકાલ માટે બીજી ચિંતાઓ ઊભી હશે. પ્રિસ્કીલા દિલ ખોલીને પ્રાર્થના કરતી હતી, એનાથી તેને સહન કરવા હિંમત મળતી. મને ગીતશાસ્ત્ર ૫૫:૨૨થી દિલાસો મળ્યો. ગીતના લેખકની જેમ મેં પણ યહોવા પર મારો બોજો નાખી દીધો અને તેમણે મને નિભાવી રાખ્યો. હવે મારી પાસે નોકરી છે, પણ અમે અમારું જીવન સાદું રાખીએ છીએ. આમ, અમે માથ્થી ૬:૨૦-૨૨માં ઈસુએ આપેલી સલાહ પાળીએ છીએ. વધુમાં, અમે ઈશ્વરની અને એકબીજાની વધુ નજીક આવ્યા છીએ.”

જૉનાથન કહે છે: “અમારો ફેમીલી બિઝનેસ ઠપ થઈ ગયો. ત્યારે મને ભાવિની ચિંતા સતાવવા લાગી. મંદીને કારણે ૨૦ વર્ષની મહેનત પાણીમાં ગઈ. હું અને મારી પત્ની પૈસાને લીધે ઝઘડવા લાગ્યા. અમે ક્રૅડિટ કાર્ડથી ખરીદી કરતા ન હતા, કેમ કે કાર્ડ નહિ ચાલે એવો અમને ડર હતો.

“પરંતુ, ઈશ્વરની વાણીએ અને તેમની પવિત્ર શક્તિએ અમને સારા નિર્ણયો લેવા મદદ કરી. હું કોઈ પણ નાનું-મોટું કામ કરવા તૈયાર હતો અને અમે બિનજરૂરી ખર્ચા કરવાનું બંધ કર્યું. અમને બીજા યહોવાના સાક્ષીઓ પાસેથી ટેકો મળ્યો. તેઓએ અમને સ્વમાન પાછું મેળવવા સહાય કરી અને બહુ જ કપરા સંજોગોમાં મદદનો હાથ લંબાવ્યો.”

લગ્નબંધન તૂટી જાય ત્યારે

રાકેલ યાદ કરે છે: “મારા પતિ અચાનક મને છોડીને જતા રહ્યા ત્યારે, હું ખૂબ દુઃખી અને ગુસ્સે થઈ. હું શોકમાં ડૂબી ગઈ. પણ, હું ઈશ્વરની વાતો પર ધ્યાન આપવા લાગી અને મને એનાથી દિલાસો મળ્યો. હું દરરોજ તેમને પ્રાર્થના કરતી અને તેમના તરફથી મળતી શાંતિએ મારા દિલનું રક્ષણ કર્યું. એમ લાગતું હતું જાણે તે મારા તૂટેલા હૃદયને જોડી રહ્યા છે.

“ઈશ્વરની વાણી, પવિત્ર શાસ્ત્રથી મને ગુસ્સો અને ખારની લાગણી પર કાબૂ કરવા મદદ મળી. રોમનો ૧૨:૨૧માં પ્રેરિત પાઊલે આપેલી સલાહ પર મેં મન લગાડ્યું: ‘ભૂંડાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહો.’

‘અમુક વાર “ગુમાવવાનો વખત” હોય છે. હવે, હું નવા ધ્યેયો પર મન લગાડું છું.’—રાકેલ

“એક સારા મિત્રએ મને જીવનમાં આગળ વધવા મદદ કરી. તેણે મને સભાશિક્ષક ૩:૬ કલમ બતાવી અને કહ્યું કે અમુક વાર ‘ગુમાવવાનો વખત’ હોય છે. એ બહુ આકરી પણ મારા માટે યોગ્ય સલાહ હતી. હવે, હું નવા ધ્યેયો પર મન લગાડું છું, જે મને ખુશી આપે છે.”

એલીસાબેથ જણાવે છે: “જ્યારે લગ્ન તૂટે છે, ત્યારે તમને સાથની જરૂર હોય છે. મને પણ મારી બહેનપણીએ સતત એવો જ સાથ આપ્યો હતો. તે મારી સાથે રડતી, મને દિલાસો આપતી અને મને એ રીતે સાચવતી કે, હું એકલતાની લાગણી નહિ, પણ હૂંફ અનુભવી શકું. મને ખાતરી છે યહોવાએ મારા દિલના ઘા રુઝાવવા તેનો ઉપયોગ કર્યો હતો.”

માંદગી અથવા વૃદ્ધાવસ્થા આવે ત્યારે

“પ્રાર્થના કર્યા પછી, હું અનુભવી શકું છું કે ઈશ્વરની શક્તિ મને બળ આપે છે.”—લુઇસ

શરૂઆતના લેખમાં આપણે લુઇસ નામના ભાઈની વાત કરી હતી. તેમને હૃદયની ગંભીર બીમારી છે. બે વખત તો તે મરતાં-મરતાં બચ્યા છે. દિવસના ૧૬ કલાક તેમણે ઑક્સિજનની પાઇપ લગાવી પડે છે. તે કહે છે: “હું હંમેશાં યહોવાને પ્રાર્થના કરું છું. અને પ્રાર્થના કર્યા પછી, હું અનુભવી શકું છું કે ઈશ્વરની શક્તિ મને બળ આપે છે. ટકી રહેવા પ્રાર્થના મને મદદ કરે છે, કેમ કે મને ઈશ્વરમાં શ્રદ્ધા છે અને તે મારી પરવા કરે છે એવો ભરોસો છે.”

પેટ્રા નામનાં બહેન ૮૦થી વધુ વર્ષનાં છે. તે કહે છે: “મારે ઘણું બધું કરવું છે, પણ હું કરી નથી શકતી. મારી શક્તિ ઓછી થઈ રહી છે, એ મારાથી જોવાતું નથી. હું જલદી થાકી જઉં છું અને મારે દવાઓના સહારે જીવવું પડે છે. હું ઘણી વાર વિચારું છું, અઘરા સંજોગોને દૂર કરવા ઈસુએ પોતાના પિતાને વિનંતી કરી હતી. યહોવાએ ઈસુને બળ આપ્યું અને તે મને પણ બળ આપે છે. પ્રાર્થના મારી દરરોજની સારવાર છે. ઈશ્વર સાથે વાત કર્યા પછી મને ખૂબ સારું લાગે છે.”—માથ્થી ૨૬:૩૯.

જુલિયન છેલ્લા ૩૦ વર્ષોથી મલ્ટિપલ સ્કલરોસિસ (જ્ઞાનતંત્રનો રોગ) નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. તે કહે છે: “હું મૅનેજરની ખુરશી પરથી વ્હિલચૅર પર આવી ગયો છું. પણ મારું જીવન નકામું નથી થઈ ગયું, કેમ કે હું બીજાઓને મદદ કરું છું. બીજાઓને મદદ કરવાથી મારું દર્દ ઓછું થાય છે. યહોવાએ વચન આપ્યું છે કે તે મને જરૂરિયાતના સમયે મદદ કરશે અને એ વચન તે પાળે પણ છે. પ્રેરિત પાઊલની જેમ હું પણ કહી શકું છું: ‘કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.’”—ફિલિપીઓ ૪:૧૩.

સ્નેહીજનને ગુમાવીએ ત્યારે

એન્ટોનિયો કહે છે: “અકસ્માતમાં મારા પપ્પાનું મૃત્યુ થયું. મને એ ખબર મળી ત્યારે એ મારા માનવામાં જ ન આવ્યું. મને લાગ્યું કે એ તો ખોટું કહેવાય, તે તો ફક્ત ફૂટપાથ પર હતા. પણ, મારા હાથમાં કંઈ જ ન હતું. તે પાંચ દિવસ કોમામાં રહ્યા અને પછી ગુજરી ગયા. હું મમ્મી સામે તો રડતો ન હતો, પણ એકલો હોવ ત્યારે પોક મૂકીને રડતો. હું પોતાને પૂછ્યા કરતો, ‘કેમ? કેમ આવું થયું?’

“એ કરુણ સમયમાં હું હંમેશાં યહોવાને મદદ માટે પ્રાર્થના કરતો, જેથી મારી લાગણીઓ કાબૂમાં રાખી શકું અને મનની શાંતિ મળે. સમય જતાં, મારા દિલને રાહત મળી. શાસ્ત્રની એક કલમ મને યાદ આવી, જે કહે છે કે ‘સમય અને સંજોગોની’ અસર બધા પર થાય છે. ઈશ્વરનું વચન છે કે તે ગુજરી ગયેલા લોકોને સજીવન કરશે. એટલે, મને ખાતરી છે કે હું મારા પપ્પાને ફરી મળી શકીશ, કેમ કે ઈશ્વર કદી જૂઠું બોલતા નથી.”—સભાશિક્ષક ૯:૧૧; યોહાન ૧૧:૨૫; તિતસ ૧:૨.

“પ્લેન ક્રેશમાં અમે દીકરો ગુમાવ્યો, પણ તેની સોનેરી યાદો હજુ અમારી પાસે છે.”—રોબર્ટ

રોબર્ટ વિશે આપણે આગળ વાત કરી હતી, તેમના પણ એવા જ વિચારો છે. તે કહે છે: “ફિલિપીઓ ૪:૬, ૭માં જણાવેલી મનની શાંતિનો અનુભવ મેં અને મારી પત્નીએ કર્યો છે. અમને એ શાંતિ યહોવાને પ્રાર્થના કરવાથી મળે છે. મનની એ શાંતિને કારણે અમે ન્યૂઝ રિપોર્ટરો સાથે સજીવન થવાની આશા વિશે વાત કરી શક્યા. પ્લેન ક્રેશમાં અમે દીકરો ગુમાવ્યો, પણ તેની સોનેરી યાદો હજુ અમારી પાસે છે. અમે એ યાદો પર મન લગાવીએ છીએ.

“સાથી ભાઈ-બહેનોએ કહ્યું કે ટી.વી. પર અમે બહુ સહજતાથી અમારી શ્રદ્ધા વિશે વાત કરતા હતા. અમે તેઓને કહ્યું કે એ તો તેઓએ અમારા માટે કરેલી પ્રાર્થનાઓને લીધે શક્ય બન્યું. મને લાગે છે કે ભાઈ-બહેનોએ મોકલેલા અસંખ્ય સંદેશાઓ દ્વારા યહોવા અમને ટેકો આપી રહ્યા હતા.”

આ દાખલાઓ બતાવે છે કે કોઈ પણ મુશ્કેલી અને પડકાર હોય, તોપણ ઈશ્વર દિલાસો આપી શકે છે. તમારા વિશે શું? ભલે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય, પણ મદદ પ્રાપ્ય છે. * ચાલો, યહોવાની મદદ લઈએ. તે “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.”—૨ કોરીંથીઓ ૧:૩. (wp16-E No. 5)

^ ફકરો. 5 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 23 શું તમે ઈશ્વરના મિત્ર બનીને તેમની પાસેથી દિલાસો મેળવવા માંગો છો? તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો અથવા નજીકની શાખા કચેરીમાં પત્ર લખો.