ઈસુ વિષે જવાબની શોધ
ઈસુ વિષે જવાબની શોધ
‘આજે મોટા ભાગના લોકો ઈસુ ખ્રિસ્ત વિષે જુદું જુદું વિચારે છે, પછી ભલે તેઓ ઈસુમાં માનતા હોય કે ન માનતા હોય. કદાચ તમને પણ સવાલ થયો હશે કે “ઈસુ કોણ છે?”’—લેખક, સ્ટેન ગથ્રી.
લોકો આજે ઈસુ વિષે ખૂબ જિજ્ઞાસુ છે. તેમના વિષે કોઈ પણ પુસ્તકો અને ફિલ્મો બહાર પડતાં જ લોકપ્રિય બની જાય છે. તોપણ, ઘણાને ઈસુ વિષે અનેક સવાલો થાય છે. ઈસુ વિષે લોકો જાત-જાતનું માને છે.
દાખલા તરીકે, અમુક વર્ષો પહેલાં બે પત્રકારે લોકોને પૂછ્યું હતું કે “ઈસુ કોણ હતા?” લોકોએ ઇંટરનેટ દ્વારા આવા જવાબો આપ્યા:
● “એવું લાગે છે કે તે રાબ્બી (ગુરુ) હતા. તેમણે આખું જીવન દયા બતાવીને સારો દાખલો બેસાડ્યો.”
● “તે આપણા જેવા સામાન્ય હતા તોપણ, અદ્ભુત જીવન જીવ્યા.”
● “એવો કોઈ પુરાવો નથી કે ઈસુ અસલમાં હતા.”
● “ઈસુ તો ઈશ્વરના દીકરા છે, તેમણે ધરતી પર જન્મ લીધો હતો. તે મરણ પામ્યા અને સજીવન થઈને આપણને પાપમાંથી છોડાવ્યા. તે હજી જીવે છે અને તે ફરીથી ધરતી પર આવશે.”
● “હું માનું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના એકના એક દીકરા છે. તે પૂરી રીતે મનુષ્ય છે અને સાથે સાથે ઈશ્વર પણ છે.”
● “ઈસુ તો પુખ્ત વયના લોકો માટે એક વાર્તા છે.”
જોઈ શકાય છે કે ઈસુ વિષે લોકો અલગ અલગ વિચારે છે. જોકે, એ બધું જ સાચું તો ન હોઈ શકે. તો સવાલ થાય કે શું એવી કોઈ ભરોસાપાત્ર માહિતી છે કે જે ઈસુ વિષે સત્ય જણાવી શકે? હા, જરૂર છે. આ મૅગેઝિનના પ્રકાશકો માને છે કે ઈશ્વરે આપણને બાઇબલ આપ્યું છે. એટલે, ઈસુ વિષેની સચ્ચાઈ આપણને ફક્ત બાઇબલ જ આપી શકે છે. *—૨ તીમોથી ૩:૧૬.
હવે પછીના લેખમાં આપણે ઈસુ વિષેના અમુક સામાન્ય સવાલોના જવાબો બાઇબલમાંથી મેળવીશું. ખુદ ઈસુએ કહ્યું હતું કે ‘જે કોઈ મારા પર વિશ્વાસ કરશે,’ તે તારણ પામશે. (યોહાન ૩:૧૬) અમારી નમ્ર વિનંતી છે કે ઈસુ વિષેના અમુક સવાલના જવાબ તમે હવે પછીના પાનાંઓમાં તપાસો. પછી પોતાને પૂછો કે ‘શું મારે ઈસુ વિષે વધારે જાણવું જોઈએ? ઈસુ પર વિશ્વાસ મૂકવા મારે બીજું શું કરવું જોઈએ?’ (w12-E 04/01)
[ફુટનોટ]
^ વધારે માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું બીજું પ્રકરણ, “બાઇબલ ઈશ્વરની વાણી છે” જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.