સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ ગરીબોની

યહોવાહ ગરીબોની

યહોવાહ ગરીબોની

સંભાળ રાખે છે

શુંતમને એવું લાગે છે કે તમે કોઈ ખાસ વ્યક્તિ હશો તો જ પરમેશ્વર તમને પસંદ કરશે? અમેરિકાના સોળમાં પ્રમુખ, અબ્રાહામ લિંકનએ કહ્યું: “ઈશ્વરને ગરીબ લોકો ગમે છે. તેથી જ તો આજે આટલા બધા લોકો ગરીબ છે.” ઘણાને લાગે છે કે, પોતે ગરીબ હોવાના લીધે વધારે કંઈ કરી શક્તા નથી. જો કે ગરીબનો અર્થ “નિર્ધન કે કંગાલ” થઈ શકે. તેમ જ માન વગરના અથવા લાચાર લોકો પણ થઈ શકે. પરંતુ સવાલ થાય કે તમને કેવા લોકો ગમશે? અભિમાની અને જિદ્દી લોકો, કે પછી બીજા લોકોની કાળજી રાખે એવા નમ્ર, માયાળુ અને બધા સાથે ભળી જાય એવા લોકો ગમશે?

આજે જ્યાં જુઓ ત્યાં ગંદી ભાષાનો ઉપયોગ અને લોકોની મજાક ઉડાવવી એ સામાન્ય બની ગયું છે. એના લીધે લોકોને વિશ્વાસ નથી રહ્યો કે પરમેશ્વર ખરેખર તેઓની સંભાળ રાખે છે. આ મૅગેઝિન નિયમિત રીતે વાંચનાર એક વ્યક્તિ કહે છે: “મારા કુટુંબમાં કોઈને એકબીજા માટે પ્રેમ ન હતો. તેઓ તો મને વાતે વાતે ઊતારી પાડતા, ચીડવ્યા કરતા અને મારી હાંસીમજાક ઉડાવતા. તેથી મને એવું લાગવા માંડ્યું કે મારી કોઈ જ કિંમત નથી. હજી પણ એ કડવી યાદો મને સતાવ્યા કરે છે. આજે પણ કોઈ મારું મનદુઃખ કરે તો હું એકદમ ભાંગી પડું છું.” પરંતુ, એનો અર્થ એમ નથી કે પરમેશ્વર ગરીબો તરફ ધ્યાન નથી આપતા. તે તો ગરીબોની ખૂબ જ કાળજી રાખે છે. પણ કઈ રીતે, ચાલો આપણે જોઈએ.

યહોવાહ ગરીબોની કાળજી રાખે છે

રાજા દાઊદે લખ્યું કે, “યહોવાહ મોટો અને બહુ જ સ્તુતિપાત્ર છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૩) યહોવાહ મહાન હોવાથી આપણી સંભાળ નથી રાખી શક્તા એમ નહિ. (૧ પીતર ૫:૭) પણ ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું તેમ, “આશાભંગ થએલાઓની પાસે યહોવાહ છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

આજે દુનિયામાં લોકો સુંદરતા, ધનદોલત અને મોટું નામ કમાવવા પાછળ રચ્યા પચ્યા રહે છે. પરંતુ યહોવાહ માટે એ બધું મહત્ત્વનું નથી. એના બદલે યહોવાહને ગરીબો, અનાથો, વિધવાઓ અને પરદેશીઓ માટે કેટલો પ્રેમ છે એ તેમણે ઈસ્રાએલીઓને જે નિયમ આપ્યો એમાં જોવા મળે છે. મિસરમાં ઈસ્રાએલીઓ સાથે જે ખરાબ વર્તાવ થયો, એ વિષે યહોવાહ કહે છે: “તું પરદેશીને હેરાન ન કર. . . તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે, ને જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નિશ્ચે તેમનો પોકાર સાંભળીશ.” (નિર્ગમન ૨૨:૨૧-૨૪) તેમ જ, યહોવાહના પ્રેમ વિષે પ્રબોધક યશાયાહે પણ કહ્યું: “જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તું ગરીબોનો આશ્રય, સંકટ સમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયા છે.”—યશાયાહ ૨૫:૪.

એ જ રીતે, ઈસુ ખ્રિસ્ત જે યહોવાહની “આબેહૂબ પ્રતિમા” છે, તેમણે પણ ગરીબો પર ખૂબ જ પ્રેમ બતાવ્યો. (હેબ્રી ૧:૩) વળી, “પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા” લોકોને જોઈને, ઈસુને તેઓ પર ખૂબ જ “દયા આવી.” (માત્થી ૯:૩૬) આમ ઈસુએ પોતાના શિષ્યો માટે એક સરસ નમૂનો બેસાડ્યો.

તે ઉપરાંત, ઈસુએ “અભણ અને સામાન્ય” લોકોને પોતાના પ્રેષિતો બનાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩, IBSI) એટલું જ નહિ, પણ ઈસુના મરણ પછી, તેમના શિષ્યોએ પણ દરેક લોકોને બાઇબલનું જ્ઞાન શીખવ્યું. પ્રેષિત પાઊલે લખ્યું કે કોઈ પણ “અવિશ્વાસી કે અભણ” મિટિંગમાં આવી શકે છે અને યહોવાહનો સેવક બની શકે છે. (૧ કોરીંથી ૧૪:૨૪, ૨૫) અરે યહોવાહે પણ પોતાની સેવા માટે, આ જગતના જ્ઞાનીઓને નહિ પણ ગરીબોને પસંદ કર્યા હતા. પ્રેષિત પાઊલે કહ્યું: “ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો, કે જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી; પણ દેવે જ્ઞાનીઓને શરમાવવા સારૂ જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા સારૂ જગતના નિર્બળોને પસંદ કર્યા છે; અને જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા સારૂ, દેવે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે, કે કોઈ મનુષ્ય તેની આગળ અભિમાન કરે નહિ.”—૧ કોરીંથી ૧:૨૬-૨૯.

આજે પણ યહોવાહને આપણા માટે એવો જ પ્રેમ છે. તે ચાહે છે કે, “સર્વ લોકો ઉદ્ધાર પામે અને આ સત્યની સમજ” મેળવે. (૧ તીમોથી ૨:૪, IBSI) વળી, તેમણે આપણા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. એ જ બતાવે છે કે તેમને આપણા પર કેટલો પ્રેમ છે! તો પછી, શા માટે આપણે મનમાં શંકાના બી વાવવા જોઈએ કે યહોવાહ આપણને ચાહતા નથી? (યોહાન ૩:૧૬) ઈસુ ખ્રિસ્તના શિષ્યો, તેમની સાથે માનથી વર્તતા હતા. તેથી ઈસુએ કહ્યું કે, ‘તમે જેવું મારી સાથે વર્તો છો એવું જ પોતાના સાથીઓ સાથે પણ વર્તો, પછી ભલેને તે ગમે તેટલો ગરીબ કેમ ન હોય!’ તેમ જ ઈસુએ કહ્યું: “આ મારા નાના ભાઈઓ માટે તમે એ કર્યું છે તે મારા માટે કર્યા બરાબર છે.” (માત્થી ૨૫:૪૦, IBSI) તેથી દુનિયા ભલે ગમે તે નજરે જુએ, પણ જો આપણે યહોવાહના નિયમોને વળગી રહીશું તો, તેમની નજરમાં કિંમતી મોતી જેવા બનીશું.

એવું જ બ્રાઝિલના એક અનાથ છોકરાને લાગ્યું. તેનું નામ ફ્રાન્સિસ્કો * છે. યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધ્યા પછી તેનું આખું જ જીવન બદલાઈ ગયું. તે કહે છે: “હું પહેલા ખૂબ જ શરમાતો અને ગભરાતો હતો. પણ યહોવાહ અને તેમની સંસ્થાની મદદથી હું એ દૂર કરી શક્યો છું. વળી, મને એ પણ જાણવા મળ્યું કે યહોવાહ દરેક વ્યક્તિની ખૂબ જ કાળજી લે છે.” ખરેખર, ફ્રાન્સિસ્કો માટે તો યહોવાહ જ ખરા પિતા છે.

યહોવાહ યુવાનોને ચાહે છે

યહોવાહ માટે એકે-એક યુવાન ઘણા જ કિંમતી છે. પણ એનાથી ફુલાઈને આપણે પોતાને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ, પછી ભલે આપણે યુવાન હોય કે વૃદ્ધ. જો કે આપણામાં એવા ઘણા સરસ ગુણો અને આવડતો હશે જેનો યહોવાહ ઉપયોગ કરી શકે. વળી એ ગુણોનો, આપણે કઈ રીતે સૌથી સારો ઉપયોગ કરી શકીએ એ પણ યહોવાહ શીખવશે. દાખલા તરીકે, ચાલો જોઈએ કે ૧ શમૂએલનો ૧૬મો અધ્યાય શું કહે છે. આ કિસ્સામાં પ્રબોધક શમૂએલને, ઈસ્રાએલના રાજા તરીકે બીજા છોકરા ગમતા હતા. પરંતુ, યહોવાહ યિશાઇના દીકરા દાઊદને પસંદ કરે છે. તેમ જ, યહોવાહ શમૂએલને સમજાવે છે કે તેમણે શા માટે દાઊદને પસંદ કર્યા. યહોવાહ કહે છે: “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમકે મેં એને [દાઊદના મોટા ભાઈને] નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.”—૧ શમૂએલ ૧૬:૭.

વળી, આજના યુવાનો વિષે શું? શું તેઓ માને છે કે યહોવાહ તેમની પૂરા દિલથી કાળજી લે છે? બ્રાઝિલની એક યુવાન આનાનો વિચાર કરો. બીજા યુવાનોની જેમ તે પણ ભ્રષ્ટાચાર અને અન્યાયથી કંટાળી ગઈ હતી. તેના પપ્પા તેને અને તેની બહેનોને ખ્રિસ્તી મિટિંગોમાં લઈ જવા મંડ્યા. ત્યાં આનાને ખૂબ જ મજા આવવા લાગી, કારણ કે તે બાઇબલમાંથી નવું નવું શીખતી હતી. તે દરરોજ બાઇબલ તેમ જ એને લગતા મૅગેઝિનો વાંચવા લાગી. વળી, તે રોજ યહોવાહને પ્રાર્થના પણ કરવા લાગી. આમ ધીરે ધીરે તે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકી. તે કહે છે: “હું સાઈકલ લઈને મારા ઘર પાસેની નાની નાની ટેકરીઓ પર જતી અને સાંજના ઢળતા સૂર્યને જોતી. વળી હું યહોવાહને, તેમની ઉદારતા અને દયા માટે રોજ પ્રાર્થના કરી આભાર માનતી. આમ હું તેમને કેટલું ચાહુ છું એ બતાવતી. યહોવાહ અને તેમના હેતુઓ વિષે શીખીને મને મનની શાંતિ મળી.” શું તમે કદી બે ઘડી બેસીને વિચાર કર્યો છે કે, યહોવાહે આપણા પર કેટલો પ્રેમ વરસાવ્યો છે?

ઘણી વખતે, કુટુંબ પણ તમારી અને યહોવાહ વચ્ચે દિવાલ બની શકે છે. દાખલા તરીકે, લીદીઆનો વિચાર કરો. તેને અમુક ચિંતા સતાવ્યા કરતી હતી. જ્યારે તે એના વિષે દિલ ખોલીને તેના પપ્પા સાથે વાત કરતી ત્યારે તે તેને હંમેશા “અક્કલ વગરની છે” એમ કહી ઉતારી પાડતા હતા. જો કે તે તેનો પ્રોબ્લેમ ભૂલી જાય એટલા માટે તેના પપ્પા એમ કહી રહ્યા હતા, એ તે સમજતી હતી. તેમ છતાં તે કહે છે: “બાઇબલ શીખીને મને જીવનમાં જે જોઈતું હતું એ બધું જ મળી ગયું. યહોવાહના ગુણોને લીધે જ હું તેમને મારા પાક્કા મિત્ર બનાવી શકી છું. પરંતુ હવે મારા એકદમ પ્રેમાળ અને મને સમજી શકે એવા પિતા છે. હું જ્યારે ચાહુ ત્યારે મારું દિલ ખોલીને તેમની સાથે વાત કરી શકું છું. વિશ્વના આ સૌથી મહાન પરમેશ્વર યહોવાહ સાથે હું કલાકો વાત કરી શકું છું કારણ કે મને ખાતરી છે કે તે ચોક્કસ મારું સાંભળશે.” યહોવાહ દરેકને આટલો બધો પ્રેમ કરે છે એ લીદીયાને કઈ રીતે ખબર પડી? ફિલિપી ૪:૬, ૭ જેવી કલમ વાંચીને જે કહે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”

યહોવાહ મદદ પૂરી પાડે છે

યહોવાહ દરેક વ્યક્તિની તેમ જ આખી દુનિયામાં ચાલતા મંડળોની પણ ખૂબ જ સંભાળ રાખે છે. તેથી, શું આપણે પણ યહોવાહ સાથે વાત કરવા માટે સમય ન કાઢવો જોઈએ? હા ચોક્કસ. વળી, યહોવાહે તેમની સાથે મિત્રતા બાંધવા દીધી છે, એનું મૂલ્ય આપણે કદી ઓછું ન આંકવું જોઈએ. દાખલા તરીકે દાઊદને એની ઘણી જ કિંમત હતી. તેથી જ તે કહી શક્યા: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ, અને તે મને શીખવ; કેમકે તું મારા તારણનો દેવ છે; હું આખો દિવસ તારી વાટ જોઉં છું.”—ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫.

જો કે તમને નવાઈ લાગશે કે યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવો એટલે શું? એનો અર્થ કે ભલે ગમે એવી મુશ્કેલી આવી પડે, પણ તમને વિશ્વાસ છે કે યહોવાહની ઇચ્છા પ્રમાણે માંગીશું તો તે ચોક્કસ મદદ કરશે. (૧ યોહાન ૫:૧૪, ૧૫) તેથી, એ બહું જ મહત્ત્વનું છે કે આપણી પ્રાર્થના સ્પષ્ટ હોવી જોઈએ. આપણા સંજોગો કેવા છે એ ધ્યાનમાં રાખીને, આપણને શું જોઈએ છે, એ ચોક્કસ બાબતો પ્રાર્થનામાં માંગી શકાય.

પરંતુ, આપણી જરૂરિયાતો કેટલી મહત્ત્વની છે અને પ્રાર્થનામાં આપણે એને કઈ રીતે માંગી શકીએ? ચાલો જોઈએ કે રાજા સુલેમાને કેવી રીતે એક એક બાબતો પ્રાર્થનામાં યહોવાહને જણાવી. આ પ્રાર્થના મંદિરના સમર્પણ વખતે કરવામાં આવી હતી: ‘જો દેશમાં દુકાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તમારા લોકનાં નગરોને ઘેરો ઘાલે, કોઈપણ મુશ્કેલી આવી પડે ત્યારે કોઈ વ્યક્તિ પોતાના દુઃખને કારણે પ્રાર્થના કરે તો તમે સ્વર્ગમાંથી સાંભળીને માફી આપજો અને પ્રત્યેકને યોગ્ય બદલો આપજો.’ (૨ કાળવૃત્તાંત ૬:૨૮-૩૦, IBSI) હા, ફ્કત તમે પોતે જ ‘તમારી પીડા અને તમારું દુઃખ’ જાણો છો. તેથી, જો તમે યહોવાહને તમારી ચિંતાઓ અને ઈચ્છાઓ જણાવશો તો, ચોક્કસ ‘તે તમારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૪.

યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધો

અરે, ગરીબો પણ યહોવાહની સાથે મિત્રતા બાંધે, એનાથી તે ઘણા જ ખુશ છે. બાઇબલ આપણને ખાતરી આપે છે: “હું તમારો પિતા બનીશ અને તમે મારાં દીકરા અને દીકરીઓ બનશો એવું સર્વશક્તિમાન ઈશ્વર કહે છે.” (૨ કોરીંથી ૬:૧૮) ખરેખર, યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ચાહે છે કે, આપણે કાયમ માટે ખુશ રહીએ. એ જાણીને કેટલો આનંદ થાય છે કે, યહોવાહ આપણને કુટુંબમાં, કામ પર અને ખ્રિસ્તી મંડળમાં દરેક રીતે મદદ પૂરી પાડે છે!

તેમ છતાં, આપણે દુઃખોનો સામનો તો કરવો જ પડે છે. જેમ કે બીમારી, કુટુંબની મુશ્કેલીઓ, ઓછો પગાર અથવા બીજી કોઈ તકલીફ આપણને હેરાન પરેશાન કરી નાખતી હોય શકે. અરે ઘણી વખત કસોટી આવે, તો આપણે નાહિંમત બની જઈએ છીએ. આ બધાનું મૂળ કારણ શેતાન છે. તે ઘણી વાર સીધેસીધું અને કોઈક વખતે આપણને ખબર ન પડે એ રીતે આપણા પર હુમલો કરે છે. વળી, આપણે યહોવાહથી દૂર થઈ જઈએ માટે શેતાન બનતી બધી જ કોશિશ કરી રહ્યો છે. પરંતુ એવા સમયે પણ કોઈક તો છે, જે આપણને સમજી શકે છે અને યહોવાહ સાથે મિત્રતા જાળવવામાં મદદ કરે છે. એ છે ઈસુ ખ્રિસ્ત જે સ્વર્ગમાં છે. તેમના વિષે આપણે બાઇબલમાં વાંચીએ છીએ: “આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહિ એવો નહિ, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખયાજક છે. એ માટે દયા પામવાને, તથા અગત્યને પ્રસંગે સહાયને સારૂ કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.”—હેબ્રી ૪:૧૫, ૧૬.

તેથી, એ જાણીને કેટલો દિલાસો મળે છે કે યહોવાહને ગમે એવી વ્યક્તિ બનવા આપણે કંઈ ખાસ વ્યક્તિ બનવાની જરૂર નથી. તેથી, ભલે આપણે દુઃખોના પહાડો નીચે દબાઈ ગયા હોય પણ રાજા દાઊદની જેમ પ્રાર્થના કરીએ: “હું દીન તથા દરિદ્રી છું; તોપણ પ્રભુ મારી ચિંતા કરશે; હે મારા દેવ, તું મારો સહાયકારી તથા છોડાવનાર છે.” (ગીતશાસ્ત્ર ૩૧:૯-૧૪; ૪૦:૧૭) તેથી, આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ ગરીબોને ખૂબ જ ચાહે છે. ખરેખર, ‘આપણી દરેક ચિંતા તેના પર નાખી શકીએ, કેમકે તે આપણી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

[ફુટનોટ્‌સ]

^ કેટલાંક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૨૯ પર ચિત્ર]

ઈસુના શિષ્યો અભણ અને ગરીબ હતા

[પાન ૩૦ પર ચિત્ર]

ખ્રિસ્તીઓ વિશ્વાસ દૃઢ કરવા સખત મહેનત કરે છે

[પાન ૩૧ પર ચિત્ર]

યહોવાહને ગમે એવી વ્યક્તિ બનવા, આપણે કંઈ ખાસ વ્યક્તિ બનવાની જરૂર નથી