સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૬૭

“તેના જેવું કોઈ માણસ કદી બોલ્યો નથી”

“તેના જેવું કોઈ માણસ કદી બોલ્યો નથી”

યોહાન ૭:૩૨-૫૨

  • ઈસુને પકડવા સિપાઈઓ મોકલવામાં આવે છે

  • નિકોદેમસ ઈસુના પક્ષે બોલે છે

માંડવાના તહેવાર માટે ઈસુ હજુ યરૂશાલેમમાં જ હતા. તે ખુશ હતા કે “ટોળામાંથી ઘણાએ તેમનામાં શ્રદ્ધા મૂકી.” જોકે, ધર્મગુરુઓને એ ગમ્યું નહિ. તેઓએ ઈસુને પકડી લાવવા સિપાઈઓ મોકલ્યા. (યોહાન ૭:૩૧, ૩૨) તોપણ, ઈસુએ સંતાવાની કોશિશ કરી નહિ.

એના બદલે, ઈસુએ યરૂશાલેમમાં ખુલ્લેઆમ શીખવ્યું. તેમણે કહ્યું: “હું તમારી સાથે હજુ થોડી વાર છું; પછી, મને મોકલનાર પાસે હું પાછો જઈશ. તમે મને શોધશો, પણ હું મળીશ નહિ અને હું જ્યાં હોઈશ ત્યાં તમે આવી શકતા નથી.” (યોહાન ૭:૩૩, ૩૪) યહુદીઓ સમજ્યા ન હોવાથી અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ માણસનો ઇરાદો ક્યાં જવાનો છે કે તે આપણને મળશે નહિ? શું તે ગ્રીક લોકોમાં વિખેરાઈ ગયેલા યહુદીઓ પાસે જવા ચાહે છે? શું તે ગ્રીક લોકોને શીખવવા માગે છે? તેણે આમ કહ્યું એનો મતલબ શું છે, ‘તમે મને શોધશો, પણ હું મળીશ નહિ અને હું જ્યાં હોઈશ ત્યાં તમે આવી શકતા નથી’?” (યોહાન ૭:૩૫, ૩૬) જોકે, ઈસુ પોતાના મરણ વિશે અને સજીવન થઈને સ્વર્ગમાં જવા વિશે વાત કરતા હતા, જ્યાં તેમના દુશ્મનો જઈ શકતા ન હતા.

તહેવારનો સાતમો દિવસ આવી પહોંચ્યો. તહેવારની દર સવારે એક યાજક શિલોઆહના કુંડમાંથી લાવેલું પાણી રેડતા, જેથી એ મંદિરની વેદી પાસેથી વહે. કદાચ લોકોને એની યાદ અપાવતા ઈસુ પોકારી ઊઠ્યા: “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. શાસ્ત્રવચન કહે છે તેમ, જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે, ‘તેના અંતરના ઊંડાણમાંથી જીવનનાં પાણીનાં ઝરણાં વહેશે.’”—યોહાન ૭:૩૭, ૩૮.

ઈસુ અહીં શાની વાત કરતા હતા? પોતાના શિષ્યો પવિત્ર શક્તિથી અભિષિક્ત થશે અને તેઓને સ્વર્ગના જીવનનું આમંત્રણ મળશે ત્યારે શું થશે, એની વાત કરતા હતા. ઈસુના મરણ પછીના વર્ષે પચાસમા દિવસે એ બન્યું. ત્યારથી અભિષિક્ત શિષ્યો લોકોને સત્ય જણાવવા લાગ્યા. એ સમયથી જીવનનું પાણી વહેવા લાગ્યું.

ઈસુના શિક્ષણ વિશે અમુક કહેવા લાગ્યા: “તે સાચે જ પ્રબોધક છે.” મુસા કરતાં મહાન પ્રબોધક આવવાના હતા, એની તેઓ વાત કરતા હતા. બીજાઓએ કહ્યું, “આ તો ખ્રિસ્ત છે.” પરંતુ, કેટલાકે કહ્યું: “શું ખ્રિસ્ત ગાલીલમાંથી આવવાના? શું શાસ્ત્ર નથી કહેતું કે ખ્રિસ્ત દાઊદના વંશમાંથી અને દાઊદના ગામ, બેથલેહેમમાંથી આવશે?”—યોહાન ૭:૪૦-૪૨.

આમ, ટોળામાં ભાગલા પડી ગયા. ખરું કે અમુક લોકો ઈસુને પકડવા માંગતા હતા, છતાં કોઈએ તેમને હાથ લગાડ્યો નહિ. સિપાઈઓ ઈસુને લીધા વગર ધર્મગુરુઓ પાસે પાછા આવ્યા ત્યારે, મુખ્ય યાજકોએ અને ફરોશીઓએ પૂછ્યું: “તમે તેને કેમ પકડી લાવ્યા નહિ?” સિપાઈઓએ જવાબ આપ્યો: “તેના જેવું કોઈ માણસ કદી બોલ્યો નથી.” ધર્મગુરુઓ ગુસ્સે ભરાઈને તેઓની મશ્કરી કરવા અને જેમ-તેમ બોલવા લાગ્યા: “શું તમે પણ તેની વાતોમાં આવી ગયા? શું એક પણ અધિકારીએ કે ફરોશીએ તેનામાં શ્રદ્ધા મૂકી છે? પરંતુ, નિયમશાસ્ત્ર ન જાણનારું આ ટોળું તો શાપિત છે.”—યોહાન ૭:૪૫-૪૯.

એ સાંભળીને યહુદી ન્યાયસભાના સભ્ય અને ફરોશી, નિકોદેમસે ઈસુનો પક્ષ લેવાની હિંમત કરી. લગભગ અઢી વર્ષ પહેલાં, નિકોદેમસે રાતે ઈસુ પાસે આવીને તેમનામાં શ્રદ્ધા બતાવી હતી. હવે, નિકોદેમસે કહ્યું: “કોઈ માણસની વાત સાંભળ્યા વગર અને તે જે કરે છે એ જાણ્યા વગર, શું આપણું નિયમશાસ્ત્ર તેને દોષિત ઠરાવે છે?” તેઓએ પોતાના બચાવમાં જવાબ આપ્યો: “શું તું પણ ગાલીલનો છે? તપાસ કર અને જો, ગાલીલમાંથી કોઈ પ્રબોધક ઊભો થવાનો નથી.”—યોહાન ૭:૫૧, ૫૨.

ખરું કે શાસ્ત્રવચનોમાં સીધેસીધું જણાવ્યું નથી કે ગાલીલમાંથી કોઈ પ્રબોધક આવશે. તોપણ, એમાં જણાવ્યું છે કે ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે; ભવિષ્યવાણી પ્રમાણે, “ગાલીલની પ્રજાઓ” પર “મોટું અજવાળું” થશે. (યશાયા ૯:૧, ૨; માથ્થી ૪:૧૩-૧૭) વધુમાં, અગાઉથી જણાવ્યા પ્રમાણે જ, ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો હતો અને તે દાઊદના વંશજ હતા. ફરોશીઓ કદાચ એ જાણતા હતા. લોકોમાં ઈસુ વિશે ઘણી ખોટી માન્યતાઓ ફેલાવવા કદાચ તેઓ જ જવાબદાર હતા.