સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઈશ્વરમાં ભરોસો મૂકશો?

શું તમે ઈશ્વરમાં ભરોસો મૂકશો?

માની લો કે તમારો એક મિત્ર છે જેના પ્રત્યે તમને ઊંડું માન છે. પરંતુ, તે એવું કંઈક કરે છે જે તમે સમજી નથી શકતા. તેણે જે કર્યું એની બીજાઓ ટીકા કરે છે અને એ નિર્ણય પર આવે છે કે તેનો ઇરાદો સારો નથી. તેઓ ત્યાં સુધી કહે છે કે તમારો મિત્ર ક્રૂર, નિર્દયી છે. શું તમે તરત તેઓની વાત માની લેશો? કે પછી, તમારો મિત્ર એનો ખુલાસો કરે એની રાહ જોશો? જો તમારો મિત્ર હકીકત જણાવવા હાજર ન હોય તો, શું તમે કોઈ નિર્ણય પર આવી જવાને બદલે ધીરજથી રાહ જોશો?

જવાબ આપતા પહેલાં, તમે કદાચ વધારે હકીકત જાણવા માંગશો. તમે કદાચ વિચાર કરશો, ‘હું આ મિત્રને કેટલી હદે ઓળખું છું? તેને ઊંડું માન આપવા પાછળ કયાં કારણો છે?’ તમને આવો વિચાર આવે એ સ્વાભાવિક છે. એ જ રીતે, ઈશ્વર ક્રૂર છે કે નહિ, એ સવાલને પણ શું આ જ સિદ્ધાંત લાગુ નથી પડતો?

ઈશ્વરે જે કંઈ કર્યું છે એમાંથી અમુક બાબતો સમજવી કદાચ તમને અઘરી લાગશે. અથવા, ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે, એ વાતને લઈને તમે મનમાં મૂંઝાતા હશો. આજે એવા અનેક લોકો છે જેઓ તમને કહેશે કે ઈશ્વર ક્રૂર છે. તેઓ પોતાની જેમ તમને પણ એ મનાવવા ચાહે છે કે ઈશ્વરના ઇરાદા સારા નથી. ઈશ્વર વિશે વધારે જાણો ત્યાં સુધી શું તમે ધીરજથી રાહ જોશો? એનો જવાબ એ વાત પર આધાર રાખે છે કે તમે ઈશ્વરને કેટલી હદે ઓળખો છો. જરા આ સવાલ પર વિચાર કરો, ‘ઈશ્વર મારા માટે કેવા મિત્ર સાબિત થયા છે?’

જો તમે જીવનમાં અનેક મુશ્કેલીઓ સહી હોય તો, કદાચ કહેશો કે ઈશ્વરે મારા માટે કંઈ જ કર્યું નથી, એટલે તે મારા મિત્ર શાના? પણ જરા વિચાર કરો. શું ઈશ્વર તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવ્યા છે, કે પછી આશીર્વાદો? આપણે જોઈ ગયા તેમ, ‘આ જગતનો અધિકારી’ કે શાસક શેતાન છે, યહોવા નહિ. (યોહાન ૧૨:૩૧) એટલે, આ દુનિયામાં અન્યાય, દુઃખ ને પીડા પાછળ મોટા ભાગે શેતાનનો હાથ છે. આપણી ઘણી તકલીફો પાછળ બીજાં બે કારણો પણ છે. એક તો, આપણે બધા ભૂલને પાત્ર હોવાથી મુસીબતો નોતરી લઈએ છીએ. બીજું, અણધાર્યા સંજોગોને લીધે આપણા પર મુશ્કેલીઓ આવી પડે છે.

ઈશ્વર તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવ્યા છે, કે આશીર્વાદો?

હવે બીજી તરફ જોઈએ તો, ઈશ્વર શાના માટે જવાબદાર છે? બાઇબલ શું કહે છે એનો વિચાર કરો: ઈશ્વર “આકાશ તથા પૃથ્વીના સરજનહાર” છે. તેમના એ કાર્યોમાં આપણા શરીરનો પણ સમાવેશ થાય છે, જે ‘આશ્ચર્ય પમાડે એવી રીતે રચવામાં આવ્યું’ છે. યહોવા “ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે.” (ગીતશાસ્ત્ર ૧૨૪:૮; ૧૩૯:૧૪; દાનીયેલ ૫:૨૩) એ બધાનો શો અર્થ થાય?

એનો અર્થ એ થાય કે આપણે પોતાના દરેક શ્વાસ માટે, આપણા અસ્તિત્વ માટે, આપણા સરજનહારના ઋણી છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) એટલે કે, જીવનની ભેટ, આપણી આસપાસ જોવા મળતું ધરતીનું સૌંદર્ય, પ્રેમ અને દોસ્તીથી મળતો આનંદ, સ્વાદ, સ્પર્શ, અવાજ અને સુગંધથી મળતી ખુશી, આ બધું ઈશ્વર તરફથી ભેટ છે. (યાકૂબ ૧:૧૭) આવા સુંદર આશીર્વાદો શું ઈશ્વરને આપણા એવા મિત્ર નથી બનાવતા કે જેમના પર આપણને પૂરો ભરોસો બેસે, ઊંડું માન હોય?

કબૂલ કે, તમને ઈશ્વર પર ભરોસો મૂકવાનું કદાચ અઘરું લાગતું હશે. કદાચ તમને લાગતું હશે કે તમે હજી તેમને એટલા ઓળખતા નથી કે ભરોસો મૂકી શકાય. એ સમજી શકાય. આ ટૂંકા લેખોમાં અમે બધાં કારણોની ચર્ચા કરી શકતા નથી કે કેમ અમુક લોકો ઈશ્વરને ક્રૂર કહે છે. પરંતુ, આપણે ઈશ્વરને વધારે સારી રીતે ઓળખવા કોશિશ કરીશું તો સારું થશે, ખરું ને? * એમ કરશો તો, અમને પૂરી ખાતરી છે કે તમે ઈશ્વર વિશે સચ્ચાઈ જાણી શકશો. શું તે ક્રૂર છે? ના, જરાય નહિ. ‘ઈશ્વર તો પ્રેમ છે.’​—૧ યોહાન ૪:૮. (w13-E 05/01)

^ દાખલા તરીકે, ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે, એ વિશે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.