સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં નોંધેલા ચમત્કારો શું તમે એમાં ભરોસો મૂકી શકો?

બાઇબલમાં નોંધેલા ચમત્કારો શું તમે એમાં ભરોસો મૂકી શકો?

બાઇબલમાં નોંધેલા ચમત્કારો શું તમે એમાં ભરોસો મૂકી શકો?

જો કોઈ તમને મજાની વાત કહે, તો વાતને સાચી માનવી કે નહિ, એ કહેનારની શાખ પર આધાર રાખે છે. એવી શાખ, વ્યક્તિ જે રીતે વાત કહે છે એના પર જ નહિ, પણ વ્યક્તિ અત્યાર સુધી કેટલું સાચું બોલી છે, એના પર પણ આધાર રાખે છે. જો તે હંમેશાં તમને સત્ય જણાવતી હોય અને ક્યારેય જાણીજોઈને તમારી આગળ ખોટું બોલતી ન હોય, તો તે જે કહે છે એ માનવાનું તમારી પાસે સારું કારણ છે.

બાઇબલમાંના ચમત્કારો વિષે પણ એવું જ છે. એ ઘટનાઓ બની ત્યારે આપણામાંનું કોઈ હતું નહિ. પણ જો એમાં સત્યનો રણકાર હોય તો આપણે એ નક્કી કરી શકીએ કે આ વાતો માનવા જેવી છે. કઈ રીતે? બાઇબલમાંના ચમત્કારોને ટેકો આપતી કેટલીક હકીકતો અહીં આપેલી છે.

ઘણા ચમત્કારો જાહેરમાં થયા હતા. કેટલીક વાર જોનારા હજારો હતા, તો ઘણી વાર લાખો હતા. (નિર્ગમન ૧૪:૨૧-૩૧; ૧૯:૧૬-૧૯) આ ચમત્કારો લોકોની નજરથી દૂર ખાનગીમાં કરવામાં આવ્યા ન હતા.

ચમત્કારો કોઈ ભપકા વગર કરવામાં આવ્યા હતા. ખાસ સાધનો કે ઝાકઝમાળ અને કરામતવાળી લાઇટો ન હતી. મોટા ભાગના કિસ્સાઓમાં, બાઇબલમાંના ચમત્કારો અચાનક ઊભા થયેલા સંજોગો અને કોઈની વિનંતીને લીધે કરવામાં આવ્યા હતા. (માર્ક ૫:૨૫-૨૯; લુક ૭:૧-૧૬) આવા કિસ્સાઓમાં, ચમત્કાર કરનાર પહેલેથી ગોઠવણ કરી ન શકે.

ચમત્કાર કરનારાઓનો હેતુ ખ્યાતિ, વાહ વાહ અને ધનદોલત મેળવવાનો ન હતો. એને બદલે, ઈશ્વરનું નામ મોટું મનાય એ હેતુ હતો. (યોહાન ૧૧:૧-૪, ૧૫, ૪૦) ચમત્કારો કરવાની શક્તિ દ્વારા ધનદોલત મેળવવાનો પ્રયત્ન કરનારાને દોષિત ઠરાવવામાં આવ્યા હતા.—૨ રાજાઓ ૫:૧૫, ૧૬, ૨૦, ૨૫-૨૭; પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૮-૨૩.

બાઇબલમાંના જુદા જુદા પ્રકારના ચમત્કારો દર્શાવે છે કે એ ફક્ત માણસોનું કામ હોઈ ન શકે. દાખલા તરીકે, દરિયા અને પવનને શાંત કરવામાં આવ્યા, પાણીમાંથી દ્રાક્ષદારૂ બનાવવામાં આવ્યો, વરસાદ રોકવામાં આવ્યો અને શરૂ કરવામાં આવ્યો, બીમાર લોકોને સાજા કરવામાં આવ્યા અને આંધળી વ્યક્તિઓને દેખતી કરવામાં આવી. આ બધા અને બીજા ઘણા ચમત્કારો શું બતાવે છે? એ જ કે જેનો બધા પર અધિકાર છે, એવી મહાન શક્તિનો હાથ એવા ચમત્કારો પાછળ હોવો જોઈએ.—૧ રાજાઓ ૧૭:૧-૭; ૧૮:૪૧-૪૫; માથ્થી ૮:૨૪-૨૭; લુક ૧૭:૧૧-૧૯; યોહાન ૨:૧-૧૧; ૯:૧-૭.

વિરોધીઓએ ચમત્કારો વિષે સવાલ ઉઠાવ્યો ન હતો. ઈસુએ જ્યારે પોતાના મિત્ર લાજરસને સજીવન કર્યો, ત્યારે ઈસુનો વિરોધ કરનાર ધર્મગુરુઓએ લાજરસ મરી ગયો હતો એ વિષે સવાલ ન ઉઠાવ્યો. તેઓ એવું કરી પણ કેવી રીતે શકે? લાજરસને ચાર દિવસથી દફનાવવામાં આવ્યો હતો. (યોહાન ૧૧:૪૫-૪૮; ૧૨:૯-૧૧) અરે, ઈસુ મરણ પામ્યા એની સદીઓ પછી પણ, યહુદી તાલ્મુડના લેખકોએ સ્વીકાર્યું કે ઈસુ પાસે ચમત્કાર કરવાની શક્તિ હતી. તેઓએ આ શક્તિ કોની પાસેથી આવી, એના પર સવાલ ઉઠાવ્યો. એ જ રીતે, ઈસુના શિષ્યોને યહુદી ન્યાયસભા આગળ લાવવામાં આવ્યા ત્યારે એમ પૂછવામાં ન આવ્યું કે “શું તમે ચમત્કાર કર્યો?” પણ એ સવાલ કરવામાં આવ્યો કે “કેવા પરાક્રમથી, કે કેવા નામથી તમે એ કર્યું છે?”—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૧૩.

ચમત્કારો વિષે બાઇબલ જે જણાવે છે એમાં તમે ભરોસો મૂકી શકો? હમણાં આપણે જે જોઈ ગયા એ પરથી સ્પષ્ટ થાય છે કે ચમત્કારો વિષેના બાઇબલ અહેવાલો ભરોસાપાત્ર છે. બાઇબલના આ અહેવાલો પર ભરોસો રાખવાનાં બીજાં પણ ઘણાં કારણો છે. દાખલા તરીકે, બાઇબલ જ્યારે પ્રસંગનું વર્ણન કરે છે, ત્યારે મોટા ભાગે એ સમય, સ્થળ અને એમાંની વ્યક્તિઓનાં નામ જણાવે છે. અરે, બાઇબલની ટીકા કરનારાઓ પણ બાઇબલમાંની ઇતિહાસની સચોટ માહિતીથી નવાઈ પામ્યા છે. બાઇબલની સેંકડો ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે, અરે એમાંની નાનામાં નાની વિગતો પણ પૂરી થઈ છે. વધુમાં, સારા સંબંધો બાંધવા વિષે બાઇબલ ઘણી સલાહ આપે છે, જેનાથી બધી ઉંમરના અને જુદા જુદા સમાજના લોકો લાભ મેળવી શક્યા છે. જ્યારે સંબંધોની વાત આવે, ત્યારે બાઇબલની સલાહની તોલે કોઈ આવી શકે નહિ.

જો તમને હજુ પણ બાઇબલમાં પૂરો ભરોસો ન હોય, તો કેમ નહિ કે એને વધારે સારી રીતે તપાસવા સમય કાઢો. તમે એના વિષે વધારે શીખતા જશો તેમ, એમાં તમારો ભરોસો વધતો જશે. (યોહાન ૧૭:૧૭) તમને ખ્યાલ આવશે કે પહેલાં થઈ ગયેલા ચમત્કારો વિષે બાઇબલ જે જણાવે છે, એના પર તમે ભરોસો મૂકી શકો છો. એ ચમત્કારો પર ભરોસો કર્યા પછી, બાઇબલ ભવિષ્યમાં થનાર બનાવો વિષે જે કહે છે, એના પર ભરોસો રાખવાનું તમારી પાસે સારું કારણ હશે. (w12-E 08/01)

[પાન ૫ પર ચિત્ર]

ઈસુના વિરોધીઓએ લાજરસ મરી ગયો હતો એ વિષે સવાલ ન ઉઠાવ્યો