સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઘણા દેશોમાં લગ્‍ન પ્રસંગે ભેટ આપવાનો રિવાજ હોય છે. પરંતુ, આપણે ભેટ આપતી કે લેતી વખતે બાઇબલના કયા સૂચનો ધ્યાનમાં લેવા જોઈએ?

બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે ફરજથી નહિ, પણ દિલથી ભેટ આપવી જોઈએ. ભેટ આપતી વખતે આપણે યહોવાહની ઉદારતા ધ્યાનમાં રાખવી જોઈએ. (યાકૂબ ૧:૧૭) પ્રેષિત પાઊલે ખ્રિસ્તીઓને કહ્યું: “ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો મા; કેમકે એવા યજ્ઞોથી દેવ બહુ સંતુષ્ટ થાય છે.” આમ, આપણે પણ યહોવાહની જેમ ઉદારતાથી આપવું જોઈએ.—હેબ્રી ૧૩:૧૬; લુક ૬:૩૮.

બ્રિટન અને અમેરીકા જેવા દેશોમાં એવો રિવાજ છે કે, લગ્‍ન કરનાર યુગલ દુકાનમાં જઈને કેટલોગમાંથી નક્કી કરી શકે કે તેઓને કઈ કઈ ભેટો જોઈએ છે. પછી લગ્‍નમાં આવનારાઓ એ લિસ્ટ તપાસીને ભેટ ખરીદી શકે. આમ કરવાથી, મહેમાનોએ ભેટને ખરીદવા આખો દિવસ બગાડવો પડતો નથી. તેમ જ લગ્‍ન કરનાર યુગલને પણ માથાકૂટ થતી નથી કે તેઓને બે ત્રણ સરખી વસ્તુઓ મળે ગઈ, જે હવે દુકાનમાં પાછી લઈ જવી પડશે.

લગ્‍ન કરનાર યુગલે ભેટ મેળવવા માટે કેટલોગનો ઉપયોગ કરવો કે નહિ એ તેમની મરજીની વાત છે. તેમ છતાં, ખ્રિસ્તી તરીકે આપણે બાઇબલની વિરુદ્ધમાં હોય એવા કોઈ પણ રિવાજોથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે, જો આ યુગલ ફક્ત મોંઘી વસ્તુઓ પસંદ કરે તો શું? આવા કિસ્સાઓમાં, ઓછો પગાર મેળવતા લોકો આવી ભેટ આપી શકતા નથી. આથી, તેઓ આવા પ્રસંગમાં જવાનું પસંદ કરતા નથી, જેથી તેઓએ સસ્તી ભેટ આપીને લોકો વચ્ચે શરમાવવું ન પડે. એક બહેને લખ્યું: “લગ્‍ન પ્રસંગમાં ભેટ આપવી એ બોજરૂપ બની જાય છે. હું ઉદાર થઉ છું પરંતુ, મને ભેટ આપવામાં જે ખુશી મળવી જોઈએ એ મળતી નથી.” લગ્‍ન જેવા પ્રસંગમાં મઝા ન આવે એ કેવું ખરાબ કહેવાય!

પ્રસંગમાં આવનારાઓને એવી ફરજ ન પાડી શકાય કે તેઓ આ જ દુકાનમાંથી અને આટલી મોંઘી જ વસ્તુ ખરીદવી જોઈએ. ઈસુ ખ્રિસ્તે બતાવ્યું કે ભેટ કેટલી મોંઘી છે એ મહત્ત્વનું નથી, પરંતુ કેવા દિલથી આપવામાં આવે છે એ મહત્ત્વનું છે. (લુક ૨૧:૧-૪) એવી જ રીતે, પ્રેષિત પાઊલના દિવસોમાં ગરીબોને ભેટ આપવા વિષે તેમણે લખ્યું: “જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.”—૨ કોરીંથી ૯:૭.

ભેટની પર નાની ચબરખી ચોંટાડીને આપનારનું નામ જણાવવું એમાં કંઈ ખોટું નથી. તેમ છતાં, અમુક જગ્યાઓએ, કોણે કોણે ભેટ આપી છે એનું નામ જણાવવાનો રિવાજ છે. આ રિવાજના લીધે મુશ્કેલી આવી શકે. અમુક વાર ભેટ આપનારાઓ પ્રકાશમાં આવવા માંગતા ન હોવાથી ચૂપચાપ ભેટ આપવાનું ઇચ્છે છે. આવી વ્યક્તિઓ માત્થી ૬:૩ના ઈસુના શબ્દ પ્રમાણે વર્તતા હોય છે: “પણ તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે.” બીજા કેટલાક લોકોને એવું લાગે છે કે ભેટ આપવી, એ આપનાર અને મેળવનાર વચ્ચે જ રહેવી જોઈએ. વધુમાં, મેળાવડાઓમાં ભેટ આપનારનું નામ જણાવવાથી, એકબીજામાં હરીફાઈનું વલણ આવે છે. (ગલાતી ૫:૨૬) ખ્રિસ્તી તરીકે, આપણે ભેટ આપનારાઓનું નામ જાહેરમાં જણાવીને કોઈને શરમમાં ન નાખવા જોઈએ.—૧ પીતર ૩:૮.

આમ, બાઇબલની સલાહ ધ્યાનમાં રાખીને, ભેટ આપવી ખુશીની બાબત બનશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.