આપણું ભાવિ કેવું છે?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્યોનું ભાવિ કેવું હશે? બાઇબલ જણાવે છે કે થોડા જ સમયમાં મોટા મોટા બનાવો બનશે, જે પૃથ્વી પરના બધા લોકોને અસર કરશે.
ઈસુએ સમજાવ્યું કે અમુક બાબતોને થતી જુઓ ત્યારે, “જાણજો કે ઈશ્વરનું રાજ્ય નજીક છે.” (લુક ૨૧:૩૧) કઈ બાબતો? તેમણે કહ્યું કે મોટી મોટી લડાઈઓ અને મોટાં મોટાં ધરતીકંપો થશે, દુકાળો પડશે તેમ જ ચેપી રોગો ફેલાશે. શું આજે આપણા સમયમાં એ બધું નથી થઈ રહ્યું?—લુક ૨૧:૧૦-૧૭.
બાઇબલ આગળ જણાવે છે કે માનવ સરકારોના “છેલ્લા દિવસો”માં લોકો કેવા હશે. તેઓનું વર્તન એકદમ ખરાબ થઈ જશે. એ વિશે તમે બાઇબલમાં બીજો તિમોથી ૩:૧-૫ વાંચી શકો. માનવ સમાજનું વલણ અને વર્તન એ દુર્ગુણોથી આજે ખદબદે છે. તમે એ કલમો વાંચો તેમ, જોવા મળશે કે બાઇબલની એ ભવિષ્યવાણી આપણા સમયમાં એકદમ સાચી પડી રહી છે.
આ બધા બનાવો શાની તરફ ઇશારો કરે છે? એ જ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે. એ રાજ્ય મોટા મોટા ફેરફારો કરશે. આખી પૃથ્વી અને એમાં વસનારાઓ માટે બધું સારું ને સારું જ થશે. (લુક ૨૧:૩૬) બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે એ સમયે તે પૃથ્વી અને મનુષ્યો પર કેવા આશીર્વાદો વરસાવશે. ચાલો એમાંના અમુક પર નજર કરીએ.
સારું શાસન
“તેને [ઈસુને] સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય; તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.”—દાનીયેલ ૭:૧૪.
એનો શો અર્થ થાય? ઈશ્વર આખી ધરતી પર પોતાનું રાજ લાવશે. એ માટે તેમણે પોતાના દીકરાને રાજા તરીકે નીમ્યા છે. તેમના રાજમાં તમે જીવનની ભરપૂર મજા માણી શકશો.
બધા તંદુરસ્ત હશે
“હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયા ૩૩:૨૪.
એનો શો અર્થ થાય? એ સમયે તમે કદીયે બીમાર નહિ પડો. કોઈ જાતની નબળાઈ કે અપંગતા નહિ હોય. અરે, તમે કદી નહિ મરો, કાયમ જીવશો!
બધે શાંતિ-સલામતી હશે
“તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૯.
એનો શો અર્થ થાય? એ સમયે યુદ્ધનો રણકાર કાનમાં નહિ ગુંજે, મનમાં કોઈ દહેશત નહિ હોય. હુલ્લડ કે કોમવાદથી થનાર જાનહાનિ અને પીડાનો ખોફ કદી નહિ સતાવે.
ધરતી પર બધે સારા લોકો હશે
‘દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
એનો શો અર્થ થાય? દુષ્ટ અને ખરાબ લોકો નહિ હોય. ફક્ત એવા જ લોકો હશે, જેઓ ખુશી ખુશી ઈશ્વરના કહ્યા પ્રમાણે જીવશે.
ધરતીની રોનક બદલાઈ જશે, એ સુંદર બની જશે
“તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.”—યશાયા ૬૫:૨૧, ૨૨.
એનો શો અર્થ થાય? પૃથ્વી પર બધે સુંદર માહોલ હશે. એ બાગ જેવી સુંદર દેખાશે. આમ, ઈશ્વર આપણી આ પ્રાર્થનાનો જવાબ આપશે: “પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.”—માથ્થી ૬:૧૦.